Monday, January 25, 2010

અર્જુન મોઢવાડિયા (ધારાસભ્ય, પોરબંદર) - Divya Bhaskar Daily Gujarati News Paper Ahmedabad Surat Baroda Rajkot News Gujarat Mumbai

અર્જુન મોઢવાડિયા (ધારાસભ્ય, પોરબંદર) - Divya Bhaskar Daily Gujarati News Paper Ahmedabad Surat Baroda Rajkot News Gujarat Mumbai


ગુનેગારોને રાજકારણમાં આવતા અટકાવવા માટે યુવાનોને આ ક્ષેત્રે પ્રવેશવા આપવા દરેક પક્ષો તથા લોકોએ પ્રોત્સાહન આપવું જોઈએ.
જન્મ : ૧૭ ફેબ્રુઆરી, ૧૯૫૭, મોઢવાડા, જિ. પોરબંદરપિતા : દેવાભાઈપત્ની : હીરાબહેન, પુત્રી : દિશા, પુત્ર : પાર્થ
અભ્યાસ : બી.ઈ. મિકેનિકલ એન્જિનિયરિંગ, વ્યવસાય : ખેતી
ગાંધીજીની જન્મભૂમિના લડાયક નેતા
કોલેજકાળમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ સાથે સંકળાયેલા અર્જુનભાઈ સક્રિય રાજકારણમાં પ્રવેશવાની જરાયે ઇચ્છા ધરાવતા ન હતા. ૧૯૯૫ની ચૂંટણીમાં મની અને મસલ પાવર સામે સ્થાનિક રાજકીય નેતાગીરીની શરણાગતિ નિહાળી તેમનો અંતરાત્મા કકળી ઊઠ્યો અને ગાંધીજીની જન્મભૂમિને બદનામ થતી રોકવા રાજકારણમાં સક્રિય થવાનો તેમણે નિર્ણય કર્યો હતો. તેઓ ૨૦૦૨માં સૌ પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેઓએ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક અને વિરોધ પક્ષના નેતા તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી પણ સફળતાપૂર્વક સંભાળી છે. ૨૦ વર્ષ સુધી સૌરાષ્ટ્ર યુનિ.ના સેનેટ અને સિન્ડિકેટના સભ્ય તરીકે તેઓ વિદ્યાર્થી પ્રવૃત્તિમાં સક્રિય રહ્યા છે. ૧૧મી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે પોરબંદરની બેઠક પરથી ચૂંટાયા બાદ ૨૦૦૪માં તત્કાલીન વિરોધપક્ષના નેતા અમરસિંહ ચૌધરીના નિધન બાદ વિરોધપક્ષના નેતાના પદે તેઓ વરણી પામ્યા હતા.
પોરબંદરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું સ્વપ્ન
વ્યવસાયે એન્જિનિયર છતાં ખેતીકામ પણ કરતા અર્જુનભાઈ શિક્ષણ અને યુવા પ્રવૃત્તિઓમાં ઘણા સક્રિય છે. સરકારવિરોધી આક્રમક નિવેદનોથી પોતાની વિશેષ ઓળખ ઊભી કરનારા અર્જુનભાઈએ ટૂંકી કારકિર્દીમાં મોટી સફળતાઓ મેળવી છે. પોરબંદરને ‘મિશન સિટી’નો દરજ્જો અપાવ્યાનો તેમને સંતોષ છે. પોરબંદરના લોકોને પાણી પહોંચાડવા અને ઔદ્યોગિક વિકાસ સાધી લોકોની સુખાકારીમાં વધારો કરવાની તેમની નેમ છે. આ નેતા પોરબંદરને રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું સ્વપ્ન ધરાવે છે.
યુવાનોને નેતાગીરી સોંપવાની હિમાયત
૧૯૯૮માં વિધાનસભાની ચૂંટણીમાં હારનારા અર્જુનભાઈના આદર્શ ગાંધીજી છે. જોકે પોરબંદર સંગઠિત ગુંડાગીરી માટે કુખ્યાત હોવાનો તેમને રંજ છે પણ આ મુદ્દે જ તેઓ રાજકારણમાં હિંમતભેર આવ્યા છે. રાજકીય પક્ષો ટૂંકા સ્વાર્થ માટે ગુનાખોરીને પ્રોત્સાહન આપતા હોઈ સમગ્ર સિસ્ટમ બદનામ થાય છે. પોરબંદર જેવા બારમાસી બંદરના વિકાસ, દરિયાકાંઠાના વિસ્તારોની સમૃદ્ધિ, ગ્રામવિકાસ જેવા પ્રશ્નો માટે સતત સક્રિયતા દાખવવાની સાથે શિક્ષણ અને યુવાપ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા છે.
તમામ સમસ્યાનું મૂળ નિરક્ષરતા
તેઓ ભ્રષ્ટાચાર, ગુનાખોરી કે સમાજવિરોધી કૃત્યો જેવા કિસ્સાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિને પાછા બોલાવવાનો લોકોને અધિકાર આપવાની ભલામણ કરે છે. અર્જુનભાઈ મની-મસલ પાવરનો ઉપયોગ, જ્ઞાતિવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ અને કોમવાદને રાજકારણીઓ સમક્ષના મહત્વના પડકાર માને છે. આ તમામ સમસ્યાના મૂળમાં નિરક્ષરતા હોવાનું તેઓ કહે છે.
પરિવારે સ્થિતિ સાથે સમાધાન કર્યું છે
મહાત્મા ગાંધીની જન્મભૂમિને બદનામ થતી રોકવા, સંગઠિત ગેંગ સામે લડવા રાજકારણમાં સમાજસેવાના ઉમદા હેતુથી ઝંપલાવનારા અર્જુનભાઈની આ પ્રવૃત્તિ સામે શરૂઆતમાં તો પરિવારનો વિરોધ હતો પણ હાલમાં પરિવારે પરિસ્થિતિ સાથે સમાધાન કરી લીધું છે. જોકે છતાં તેઓ ખુશ છે એમ તો ન જ કહી શકાય. ખેડૂત પરિવારમાંથી આવતા આ નેતા તેમના પરિવારમાંથી રાજકારણમાં ઝંપલાવનારા પ્રથમ સભ્ય છે. અર્જુનભાઈ વાંચન ઉપરાંત ટેનિસ, વ્યસનનિર્મૂલન જેવી પ્રવૃત્તિઓમાં રસ ધરાવે છે. પોરબંદર સામાજિક-શૈક્ષણિક રીતે વધુ સમૃદ્ધ થાય એવું તેમનું સપનું છે.

No comments:

Post a Comment